મોટે ભાગે રોહિણી નક્ષત્ર 24 અથવા તો 25 મેની આજુબાજુ બેસતું હોય છે. કેમકે રોણ નક્ષત્ર બેસવાની સાથે જ ચોમાસું બેસવાની એક્ટિવિટી સક્રિય બનતી હોય છે. રોહિણી નક્ષત્રને આપણે રોણ તરીકે પણ ઓળખીએ છીએ.
વર્ષ 2025 દરમિયાન રોણ નક્ષત્ર 25 મેના રોજ બેસી ગયું છે. સૂર્યનારાયણ ભગવાનનો રોહિણી નક્ષત્રમાં વિધિવત પ્રવેશ તા. 25-5-2025 ના રોજ એટલે કે વૈશાખ વદ તેરસના રવિવારે 9:34 મિનિટે બેસી ગયું છે.

રોણ નક્ષત્ર 14 દિવસનું હોય છે. ભડલી વાક્યો પ્રમાણે રોણ નક્ષત્રના પ્રથમ ભાગમાં જો વરસાદ થાય તો, તે વર્ષે પાણીનો અભાવ રહે છે. આ નક્ષત્રમાં મીની વાવાઝોડા અને તીવ્ર કડાકા ભડાકા સાથે કરા સ્વરૂપે વરસાદ પડતો હોય છે. આ નક્ષત્રમાં વરસાદના છાંટા પડતા હોય તો પણ સારું ચોમાસુ રહે છે તેવું ગણવામાં આવે છે.
રોહિણી નક્ષત્ર વિશે કેટલીક માન્યતાઓ છે. આ નક્ષત્રના ચાર પાયા હોય છે. જેમાં કહેવાય છે કે પહેલા પાયામાં જો કોઈ જગ્યાએ વરસાદ પડે તો બોતરું કાઢે એમ કહેવાય એટલે કે 72 દિવસ સુધી પવન ફૂંકાય. અહીંયા ખાસ એક વાત ધ્યાનમાં રાખવી કે 72 દિવસ એટલે 12 કલાકનો દિવસ અને 12 કલાકની રાત્રી એટલે 36 દિવસ જ ગણવામાં આવે છે.
જ્યારે રોહિણી નક્ષત્રના બીજા પાયામાં વરસાદ થાય તો વાયરાના પ્રમાણમાં અને દિવસોમાં ઘટાડો થાય તેવી માન્યતા છે. આ નક્ષત્ર ઉતરતા વરસાદ આવે તો યોગ્ય સમયે ચોમાસાનું આગમન થાય તેવું કહેવામાં આવે છે અને વરસાદ સારો થાય તેવી પણ માન્યતાઓ રહેલી છે.
આ નક્ષત્રના શરૂઆતના 9 દિવસને નૌપતા કહેવામાં આવે છે. આ નવ દિવસ દરમિયાન સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર ઓછું હોય છે જેમને કારણે તાપમાન અને બફારો ખૂબ જ જોવા મળે છે.
નૌપતા દરમિયાન જેટલું તાપમાન વધે એટલું ચોમાસું સારું રહે છે તેવું કહેવામાં આવે છે. પ્રાચીન વર્ષા વિજ્ઞાન આધારિત નક્ષત્રોની આગાહી કરવામાં આવે છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
કહેવત અનુસાર રોહિણી નક્ષત્રના પ્રથમ બે પાયા સરખા તપે નહિ અને પવનનું પ્રમાણ વધુ હોય પરંતુ પાછળના બે પાયા જો ખૂબ તપી જાય તો ચોમાસા દરમિયાન વાંધો આવતો નથી. રોહિણી નક્ષત્ર દરમિયાન વરસાદ કુંડાળામાં પડતો હોય છે એટલે કે વરસાદનો વિસ્તાર રાઉન્ડ આકારમાં હોય છે અને તેની ત્રિજ્યા 5 થી 15 કિલોમીટર સુધીની હોય છે.
રોહિણી નક્ષત્રમાં વરસાદ જ્યાં કુંડાળા કરે ત્યાં ખેડૂતમિત્રો લાપસીના આંધણ મુકતા હોય છે કેમ કે રોહિણીમાં જ્યાં વરસાદ વરસે ત્યાં આખા વર્ષ દરમિયાન સારો વરસાદ પડે તેવી માન્યતા રહેલી છે.
ખાસ નોંધ: વરસાદ અને વાવાઝોડાં સંબંધિત તમામ માહિતી માટે હંમેશા હવામાન વિભાગની આગાહીને અનુસરવી.