× Special Offer View Offer

ગામમાં સરપંચ પાસે કેટલા અધિકારો હોય છે? ગામમાં તેમણે શું કામો કરવાનાં હોય છે? અહીં જાણો સંપુર્ણ માહિતી વિગતવાર…

WhatsApp Group Join Now

રાજ્ય ચૂંટણીપંચે રાજ્યભરમાં 8326 ગ્રામપંચાયતોની જૂન મહિનામાં ચૂંટણી જાહેર કરી છે. ગ્રામપંચાયતોમાં સરપંચ એ વહીવટી વડા હોય છે. ગુજરાત પંચાયત અધિનિયમ 1993 હેઠળ સરપંચને કેટલાંક અધિકારો તેમજ જવાબદારીઓ અંગે જોગવાઈ કરવામાં આવી છે.

અહીં ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ગ્રામપંચાયતની ચૂંટણીઓ યોજવામાં તેના નિર્ધારિત કાર્યક્રમ કરતાં લગભગ બે વર્ષ જેટલું મોડું થયું છે. પંચાયતી રાજની વેબસાઇટ માહિતી મુજબ ગુજરાત રાજ્યમાં 33 જિલ્લાઓમાં 14265 ગ્રામ પંચાયતો છે.

ગામમાં શાંતિ સલામતી જળવાઈ રહે તે જોવાની, રોડ- રસ્તા તેમજ ગટર અને પીવાના પાણીનું આયોજન કરવાની જવાબદારી સરપંચની છે. ગામમાં બેરોજગાર રોજગારી માંગે તો તેને રોજગાર આપવાનું તેમજ સરકારી યોજનાઓનો લાભ દરેક લાભાર્થીઓ સુધી પહોંચે તે અંગે સરપંચે ધ્યાન રાખવાનું હોય છે.

જોકે સરપંચને સરકાર તરફથી કોઈ પગાર મળતો નથી. તેમજ સરપંચ એક સાથે 500 રૂપિયાનો જ ખર્ચ કરી શકે છે. ગ્રામપંચાયતની મુદત પાંચ વર્ષની હોય છે. લાયકાત ધરાવતા મતદારો સીધો મત આપીને સરપંચને ચૂંટે છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મહિલા માટે 50 ટકા બેઠકો અનામત રાખવામાં આવે છે.

ગ્રામપંચાયતના ચૂંટાયેલા સભ્યો દ્વારા તેમનામાંથી જ ઉપસરપંચ ચૂંટવામાં આવે છે. સુરેશભાઈ છાંગા જેઓ ભૂજ તાલુકાની કનુરિયા ગ્રામપંચાયતના હાલ ઉપસરપંચ અને ભૂતપૂર્વ સરપંચ છે. સુરેશભાઈ સરપંચોને પંચાયતી રાજની તાલીમ આપે છે.

સુરેશભાઈ છાંગાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું, “સરપંચ ગ્રામપંચાયતનો વહિવટી અધિકારી હોય છે. સરપંચને ગ્રામપંચાયતનાં 18 જેટલા રજિસ્ટર જાળવવાનાં હોય છે. જેમ કે, ચેકબુક, પાસબુક, આકાર રજિસ્ટર, ખેતીવાડીના 12 ના ઉતારા, 16 નંબરના ઉતારા વગેરે રજિસ્ટર તૈયાર કરવાની જવાબદારી ભલે તલાટીની છે, પરંતુ તેની દેખરેખ રાખવાની જવાબદારી સરપંચની છે.”

ગામમા શાંતિ અને સૌહાર્દ જળાવઈ રહે તે જોવાની જવાબદારી સરપંચની છે. ગામની શાળામાં શૈક્ષણિક કાર્ય જોવાની સરપંચની સીધી જવાબદારી નથી, પરંતુ ધ્યાન રાખવાનું હોય છે.

સુરેશભાઈ જણાવે છે, “ગ્રામપંચાયત ડેવલપમેન્ટ પ્લાન બનાવવાની જવાબદારી સરપંચની છે. ગ્રામપંચાયતના પાંચ વર્ષનો વિકાસ આયોજન તૈયાર કરીને નાણાપંચમાં મોકલી આપવાનું હોય છે. જેના આધારે ગ્રામપંચાયતને કરવાનાં કામોની ગ્રાન્ટની ફાળવણી થાય છે.”

સુરેશભાઈ છાંગા વધુમાં જણાવે છે, “પહેલાં ગ્રામપંચાયતનાં કામોનું પેમેન્ટ રોકડ રૂપિયા આપીને કે ચેક આપવામાં આવતું હતું. જ્યારે હવે ગ્રામપંચાયતોએ પેમેન્ટની ચૂકવણી પબ્લીક ફંડ મૅનેજમેન્ટ સિસ્ટમ દ્વારા કરવાની છે. જેમાં એક પેઇનડ્રાઇવમાં સરપંચની ડિજિટલ સહી હોય અને એક પેઇનડ્રાઇવમાં તલાટીની ડિજિટલ સહી હોય છે. બન્ને પેઇનડ્રાઈવથી જ પેમેન્ટ કરી શકાય છે.આ પેમેન્ટ યોગ્ય વ્યક્તિને ગયું છે કે નહીં તે જોવાની જવાબદારી સરપંચની છે.”

સરકારની પ્રજાલક્ષી જાહેરાતો તેમજ સરક્યુલરો અંગે લોકે સુધી માહિતી પહોંચાડવાનું કામ સરપંચનું છે. જે માટે તે લાઉડસ્પીકર પર, સાદ પાડીને કે પછી ડિજિટલ ટૂલનો પણ ઉપયોગ કરી શકે છે. સુરેશભાઈ છાંગા જણાવે છે કે સરકારની યોજનાઓ જેવી કે વિધવા સહાય, વિકલાંગ, વૃદ્ધોને મળતું પેન્શન વગેરે યોજનાઓનો લાભ ગામના 100 ટકા લાભાર્થીઓ સુધી પહોંચે તે જોવાનું કામ સરપંચનું છે.

મહાત્મા ગાંધી નૅશનલ રૂરલ ઍમ્પલૉયમેન્ટ ગૅરંટી સ્કીમ (મનરેગા) અંર્તગત ગામમાં રોજગારી આપવામાં આવે છે. સુરેશભાઈ છાંગા જણાવે છે, “કેન્દ્ર સરકારની મનરેગા હેઠળ ગામનો કોઈ બેરોજગાર સરપંચને રોજગારી માટે અરજી કરી તો સરપંચે અરજદારને અરજી કર્યાના 15 દિવસમાં રોજગારી પૂરી પાડવાની છે.

જો સરપંચ 15 દિવસમાં રોજગારી પૂરી ન પાડી શકે તો તેને આ સ્કીમ હેઠળ નક્કી કરેલા દિવસના મહેનતાના 60 ટકા રૂપિયા બેરોજગાર ભથ્થા તરીકે પંચાયતમાંથી ચૂકવવાના હોય છે. હાલ 268 રૂપિયા મહેનતાણું છે.”

ગામડાઓમાં જુદા-જુદા મેળાઓ અને હાટનું આયોજન થાય છે. સુરેશ છાંગા જણાવે છે, “મેળામાં આવનાર લોકો માટે યોગ્ય બેસવાની, પાણી પીવાની, પાર્કિંગની વ્યવસ્થા જળવાય તે જોવાનું કામ પણ સરપંચનું છે. દા.ત દક્ષિણ ગુજરાતના ગામોમાં દર ગુરુવારે હાટ ભરાય છે.” ગ્રામપંચાયતનું બજેટ બનાવવાની જવાબદારી સરપંચ અને તલાટીની હોય છે.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

ગ્રામપંચાયતની વહીવટી સત્તા સરપંચને મળેલી છે. પંચાયતીરાજના કાયદા અનુસાર ગ્રામપંચાયતના વહીવટી તેમજ વિકાસના કાર્યોનો અમલ સરપંચે કરાવવાનો હોય છે.

  • પંચાયતની બેઠકો બોલાવવી, તેનું પ્રમુખસ્થાન લેવું અને તેનું સંચાલન કરવું.
  • પંચાયતના બધા કર્મચારીઓનાં કાર્યો ઉપર દેખરેખ રાખવી.
  • સરપંચ એક સમયે પાંચસો રૂપિયા સુધીને ખર્ચ કરી શકે છે.( કાયદામાં સરપંચને એક સાથે પચાસ રૂપિયા સુધી ખર્ચ કરવાની સત્તા હતી. સરકારે નૉટિફિકેશન કરી તેમાં વધારો કરી 500 રૂપિયા સુધીની સત્તા આપવામાં આવી છે.)
  • પંચાયતના ખર્ચનાં બિલ મંજૂર કરવાં, ચૂકવણીના ચેક લખવા અને જરૂરી હોય ત્યાં રકમ પરત (રિફંડ) આપવા સહિત પંચાયત-ફંડનો વહીવટ કરવો
  • પંચાયતનાં ફંડની સલામત કસ્ટડી માટે જવાબદાર રહેવું
  • પંચાયતનાં વહીવટ અને વિકાસકાર્યો માટે જરૂરી પત્રકો અને રેકૉર્ડ તૈયાર કરાવવાં
  • પંચાયતની બચત-રકમોનું યોગ્ય રોકાણ કરવું
  • પંચાયત મંત્રીની રજા મંજૂર કરવી અને તેનો ખાનગી અહેવાલ ભરવો

પંચાયતના મંત્રી પોતાની ફરજો બજાવવા અસમર્થ હોય કે તેમની ફરજો પ્રત્યે બેદરકારી દાખવવા બદલ દોષિત ઠરેલ હોય ત્યારે સરપંચ પંચાયતમાં બે-તૃતીયાંશ બહુમતીથી ઠરાવ પસાર કરીને તેમને મંત્રી તરીકે દૂર કરવા કે તેમની સામે શિસ્તભંગનાં પગલાં લેવા માટે સરકારને ભલામણ કરી શકે છે.

ગુજરાત વિદ્યાપીઠ શાદરા ખાતે આવેલ પંચાયતી રાજ તાલીમ કેન્દ્રના પ્રિન્સિપલ તેજસ ઠાકરેએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું, “સામાન્ય રીતે ધારસભ્યો, સાસંદ કે નગરપાલિકા મહાનગર પાલિકાના કાઉન્સિલરોનો પગાર હોય છે, પરંતુ સરપંચને પગાર હોતો નથી. સરપંચ પંયાયતનાં કામ માટે કોઈ જગ્યા પર જાય તો તેનું ભાડુ ભથ્થુ પંચાયતમાંથી પાસ કરાવી શકે છે.”

સામાજિક ન્યાય સમિતિ સિવાયની સમિતિઓમાં સરપંચ હોદ્દાની રૂએ અધ્યક્ષ હોય છે. સરપંચે દર મહિને સામાન્યસભા બોલાવવાની હોય છે.

તેજસ ઠાકરે જણાવે છે, “ગ્રામસભા બોલાવવાની સત્તા સરપંચની છે. પંચાયતી ધારા અનુસાર એક વર્ષમાં બે ગ્રામસભા બોલાવવી ફરજિયાત છે. જોકે, સરકારે નૉટિફિકેશન કરી તેમાં સુધારો કર્યો છે. વર્ષમાં ઓછામાં ઓછી ચાર ગ્રામસભા બોલાવવી ફરજિયાત છે.” “ગ્રામસભા 26 જાન્યુઆરીની આસપાસ, 1 મેની આસપાસ, 15 ઑગસ્ટની આસપાસ, બીજી ઑક્ટોબરની આસપાસ બોલાવવી ફરજિયાત છે.”

સરકારે નૉટિફિકેશન જાહેર કરીને દરેક ગ્રામપંચાયતમાં પાણી સમિતિની રચના કરવી ફરજિયાત કરી છે. પાણી સમિતિના અધ્યક્ષ હોદ્દાની રૂએ સરપંચ હોય છે.આ સિવાય ગામમાં કોઈ કામગીરી ચાલતી હોય તો સરપંચ સમિતિની રચના કરી શકે છે.

દા.ત. ગામમાં રોડ રસ્તા બનતા હોય કે ચેક ડૅમ બનતો હોય તેવા વિકાસનાં કામો પર નજર રાખવા જાહેર બંધાકામ સમિતિની રચના કરી શકે છે. આ ઉપરાંત રોગચાળો ફેલાય તેવી સ્થિતિમાં જાહેર આરોગ્યની સમિતિની રચના કરી શકે છે.

તેજસ ઠાકરે જણાવે છે, “ગ્રામપંચાયતમાં કાયદા અનુસાર સામાજિક ન્યાય સમિતિની રચના કરવી ફરજિયાત છે. સામાજિક ન્યાય સમિતિમા વાલ્મિકી સમાજના હોવું જરૂરી છે.” “તે ચૂંટાયેલા સભ્ય ન હોય તો પણ તે સમિતિના સભ્ય બની શકે છે. સરપંચ કે ઉપસરપંચ જો વાલ્મિકી સમાજના હોય તો તે સમિતિના અઘ્યક્ષ બની શકે છે. તે હોદ્દાની રૂએ બની શકતા નથી.”

સુરેશભાઈ જણાવે છે, “પંચાયતી અધિનીયમ ધારાની કલમ 57 મુજબ સરપંચને પદભ્રષ્ટ કરી શકાય છે.” તેજસ ઠાકરે જણાવે છે, “ગ્રામપંચાયતનું બજેટ બનાવવાની તલાટી અને સરપંચની છે. 31 માર્ચ સુધી ગ્રામપંચાયતનું બજેટ મંજૂર કરવામાં ન આવે તો પંચાયતની આખી બૉડી બરખાસ્ત (સુપરસીડ) થઈ જાય.”

ગ્રામપંચાયતનું બજેટને મોડામાં મોડું 15 જાન્યુઆરી સુધી તાલુકા વિકાસ અધિકારીને અવલોકન માટે મોકલી આપવામાં આવે છે. તાલુકા વિકાસ અધિકારી બજેટનું અવલોકોન કરીને સૂચનો આપી શકે છે. જોકે પંચાયત બૉડીને તે સૂચનો મંજૂર ન હોય તો તે સૂચનો વગર પણ તે બજેટ મંજૂર કરી શકે છે.

તાલુકા વિકાસ અધિકારીએ અવલોકન બાદ પરત મોકલેલા બજેટને 31 માર્ચ પહેલાં પંચાયત બૉડીની મિટિંગમાં મૂકીને મંજૂર કરવાનું ફરજિયાત છે. તેજસ ઠાકરે જણાવે છે, “પંચાયતના ચૂંટાયેલા સભ્યોના 50 ટકા સભ્યોની સહીથી સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત લાવી શકાય.

અવિશ્વાસની દરખાસ્ત લાવવા માટે સરપંચે મિટિંગ બોલાવવાની હોય છે. જો સરપંચ નોટીસ મળ્યાના 15 દિવસમાં મિટિંગ ન બોલાવે તો તાલુકા વિકાસ અધિકારીએ 15 દિવસમાં આ મિટિંગ બોલાવવાની હોય છે.ગ્રામપંચાયતના ચૂંટાયેલા સભ્યોના એક તૃતીયાંશ સભ્યોની સહિથી સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્તનો ઠરાવ મંજૂર કરી સરપંચને પદ પરથી હટાવી શકાય છે.”

સુરેશભાઈ છાંગા જણાવે છે કે “સરપંચને અવિશ્વાસની દરખાસ્તની નોટીસ મળ્યા બાદ સરપંચ પાસે 15 દિવસનો સમય હોય છે. આ સમયમાં તેમને વિશ્વાસ મત સાબિત કરવાનો હોય છે.” તેજસ ઠાકરે જણાવે છે કે “સરપંચ સામે ભ્રષ્ટાચાર કે કોઈ કાયદા વિરુદ્ધનું કૃત્ય કરવાના આરોપ સિદ્ધ થયા હોય સરપંચ તેમાં ગુનેગાર સાબિત થયા હોય તેવા કિસ્સામાં જિલ્લા વિકાસ અધિકારી સરપંચને પદ પરથી દૂર કરી શકે છે.”

સુરેશ છાંગા જણાવે છે કે “સરપંચ સામે કોઈ આરોપ સાબિત થાય અને તે 24 કલાક જેલની કસ્ટડીમાં રહે તો તેમને પદભ્રષ્ટ કરવામાં આવે. (પોલીસ કસ્ટડી નહીં, પરંતુ જેલ કસ્ટડી)” પંચાયતી રાજ અધિનિયમ અનુંસાર સરપંચ સ્વૈછિક રાજીનામું આપવા માંગે તો તેમનું રાજીનામું જિલ્લા વિકાસ અધિકારી મંજૂર કરી શકે છે. ઉપસરપંચ અને પંચાયતના સભ્યોનું રાજીનામું સરપંચ સ્વીકારી શકે છે. તેમનાં રાજીનામાં પંચાયત બૉડી દ્વારા મંજૂર કરવામા આવે છે.

ગુજરાતમાં પંચાયતીરાજની પૃષ્ઠભૂમિ

ગુજરાતમાં પંચાયતી રાજ સને 1963થી અમલમાં આવ્યું હતું. આ પંચાયતી રાજ ગુજરાત પંચાયત અધિનિયમ 1961 મુજબ ચાલતું હતું; પરંતુ 1992નો 73મો બંધારણીય સુધારા અધિનિયમ અમલમાં આવતાં તેની મહત્ત્વની જોગવાઈઓને સમાવીને સને 1993માં નવો પંચાયત ધારો ગુજરાત પંચાયત અધિનિયમ-1993 ઘડવામાં આવ્યો. આ નવા કાયદાની જોગવાઈઓ 73મા બંધારણીય સુધારા સાથે સુસંગત છે.

રાજ્ય ચૂંટણીપંચે રાજ્યની ગ્રામ્યપંચાયતોની ચૂંટણીની જાહેરાત કરી દીધી છે.રાજ્ય ચૂંટણી કમિશનર એસ. મુરલી ક્રિષ્નાએ પ્રેસ કૉન્ફરન્સ કરીને જાહેરાત કરી હતી. તેમના જણાવ્યા પ્રમાણે 22 જૂનના રોજ ગ્રામપંચાયતોની ચૂંટણીનું મતદાન થશે.

25 જૂનના રોજ આ ગ્રામપંચાયતોની ચૂંટણીનું પરિણામ જાહેર થશે. આ ચૂંટણી માટે ઉમેદવારો નવમી જૂન સુધી ઉમેદવારીપત્રક ભરી શકશે. ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું કે, “ગ્રામપંચાયતોની ચૂંટણીમાં મતદાન બૅલેટ પેપરથી થતું આવ્યું છે, અને આ વખતે પણ એ જ રીતે થશે.” ગ્રામપંચાયતોની આ ચૂંટણીમાં કુલ 1 કરોડ 30 લાખથી વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.

WhatsApp Group Join Now

Leave a Comment