વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશભરમાં તા. 01 જૂલાઈ 2025 થી તા.30 સપ્ટેમ્બર 2025 સુધી ‘જન સુરક્ષા અભિયાન’ની શરૂઆત કરવામાં આવી છે.
ગુજરાતમાં ‘જન સુરક્ષા અભિયાન’ને પ્રોત્સાહન આપવા PM જનધન સહિત કેન્દ્રની ચાર યોજનાઓની બેન્કિંગ સેવાઓની કામગીરી ઇ-ગ્રામ સેન્ટર ખાતેથી વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ માટે ઈ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટી દ્વારા VCE ને મહેનતાણા તરીકે રૂ.20 /- ચૂકવવામાં આવશે તેમ, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગની યાદીમાં જણાવાયું છે.
આ અભિયાન હેઠળ કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી જન ધન યોજના અંતર્ગત જે નાગરિકોના બેંક એકાઉન્ટ નથી તેઓના બેંક એકાઉન્ટ ખોલાવા તેમજ નિષ્ક્રિય થઈ ગયેલા એકાઉન્ટમાં Re-KYC કરી ફરીથી ચાલુ કરવા તેમજ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અને અટલ પેન્શન યોજના હેઠળ પાત્રતા ધરાવતા નાગરિકોનું નામાંકન કરાવવા જેવી સુવિધાઓ હવે ગ્રામીણ કક્ષાએ VCE દ્વારા વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સેવા તા.01 જૂલાઈથી 30 સપ્ટેમ્બર 2025 સુધી ચાલુ રહેશે.
ગ્રામ પંચાયતોની કામગીરીને ઇન્ફર્મેશન ટેકનોલોજીના માધ્યમથી અદ્યતન, સુવ્યવસ્થિત, સમયબદ્ધ, સરળ અને ઝડપી બનાવવા ઈ-ગ્રામ વિશ્વગ્રામ યોજના અમલમાં મુકવામાં આવી છે. જે અંતર્ગત 14,181 ગ્રામ પંચાયતો ખાતે કોમ્પ્યુટર અને તેને આનુષાંગિક સાધનસામગ્રી જરૂરી સોફટવેર સહિતના સાધનો પુરા પાડવામાં આવ્યા છે.
ઈ-ગ્રામ પંચાયતો ખાતે પી.પી.પી મોડેલથી ગ્રામ કોમ્પ્યુટર સાહસિકો (વી.સી.ઈ) જોડાયેલા છે. ઈ-ગ્રામ પંચાયતો ખાતેથી વી.સી.ઈ દ્વારા વિવિધ G2C (ગર્વમેન્ટ ટુ સીટીઝન) અને B2C (બીઝનેસ ટુ સીટીઝન) ઓનલાઈન સેવાઓ ગામડાઓમાં પુરી પાડવામાં આવી રહી છે.
જનસુરક્ષા યોજનાઓમાં રાજ્યના પાત્રતા ધરાવતા તમામ નાગરિકોને આવરી લેવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ અભિયાનનો આરંભ કરાવવામાં આવ્યો હતો. આ અભિયાનનો મુખ્ય હેતુ દેશના દરેક નાગરિકને નાણાકીય સમાવિષ્ટતા તેમજ સામાજિક સુરક્ષા પુરી પાડવાનો છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
અત્રે ઉલ્લેખનીય છે કે, આ યોજનામાં હાલ 7/12.8/અ અને હક્કપત્રની નકલ, જન્મ-મરણના દાખલા, વિજળી-ગેસ કનેકશનના બીલ, આવકના દાખલા. રેશનકાર્ડમાં સુધારા-વધારા, વિવિધ ખેતપેદાશોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂત રજીસ્ટ્રેશન, પી.એમ. કિસાન સહાય યોજનાના ફોર્મ ભરવા, આધારકાર્ડ, આયુષ્યમાન કાર્ડ તેમજ ઇ-શ્રમ કાર્ડ જેવી 325 જેટલી ગર્વમેન્ટ ટુ સીટીઝન તેમજ આધાર ઇનેબલ પેમેન્ટ મળી ટ્રાન્સફર, રીચાર્જ, ટ્રાવેલ ટિકીટ, ઈન્સ્યુરન્સ સેવાઓ, મ્યુચ્યુઅલ ફંડ જેવી 75 જેટલી બીઝનેસ ટુ સીટીઝન સેવાઓ ઈ-ગ્રામ સેન્ટર ખાતેથી ગ્રામજનોને ડિજિટલ માધ્યમથી ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.










