શું તમારી સાથે ક્યારેય એવું બન્યું છે કે તમને તમારા પેટમાં વિચિત્ર દબાણ અને ભાર લાગે, તમે થાકેલા અનુભવો અને કોઈ કારણ વગર તમને સારું ન લાગે? તો શક્ય છે કે તમારું પેટ તમને કંઈક અણસાર આપી રહ્યું છે? ખાસ કરીને ચોમાસામાં પેટ સંબંધિત અને પાચન સંબંધિત સમસ્યાઓ કેટલાક કિસ્સામાં વધી જતી હોય છે.
હકીકતમાં, તમારું પેટ સ્વસ્થ છે કે નહીં તે ફક્ત યોગ્ય પાચન દ્વારા નક્કી થતું નથી. તેના બદલે, તે તમારી રોગપ્રતિકારક શક્તિ, માનસિક સ્વાસ્થ્ય, તમારા મૂડ અને તમે કેટલા ઊર્જાવાન છો તેના પર પણ બહુ મોટો આધાર રાખે છે.

આપણું પેટ અબજો બૅક્ટેરિયા અને સૂક્ષ્મજીવાણુનું ઘર છે, જ્યારે આપણે સંતુલિત અને પોષકતત્ત્વોથી ભરપૂર આહાર ખાઈએ છીએ ત્યારે જ તે સ્વસ્થ રહે છે. પરંતુ જો ખાવાની આદતો યોગ્ય ન હોય, તો તે આપણા પેટના સ્વાસ્થ્યને અસર કરી શકે છે. જેનાથી પાચન સમસ્યાઓ, સોજો અને લાંબા ગાળાના રોગો થઈ શકે છે.
ઇમ્પિરિયલ કૉલેજ લંડન ખાતે સેન્ટર ફૉર બૅક્ટેરિયલ રેઝિસ્ટન્સ બાયૉલૉજીના સિનિયર લેક્ચરર ડૉ. જુલી મેકડોનાલ્ડ કહે છે કે પેટની સમસ્યાઓ અલગ-અલગ રીતે દેખાઈ શકે છે.
જેમ દરેક વ્યક્તિના ફિંગરપ્રિન્ટ્સ અલગ-અલગ હોય છે, તેમ દરેક વ્યક્તિના પેટમાં રહેલા બૅક્ટેરિયા પણ અલગ હોય છે. આનો અર્થ એ છે કે કેટલાક લોકોમાં પાચનશક્તિ મજબૂત હોઈ શકે છે, જ્યારે અન્ય લોકોમાં પાચનશક્તિ નબળી હોઈ શકે છે.
સ્વસ્થ પેટ પાછળ ઘણાં પરિબળો કામ કરતાં હોય છે. જેમ કે તમારી આનુવંશિકતા, તમારી આસપાસનું વાતાવરણ, તમારો આહાર અને તમારા પ્રારંભિક જીવન સાથે સંબંધિત કેટલીક કડીઓ. ઉદાહરણ તરીકે, કોઈનો જન્મ સી-સેક્શન દ્વારા થયો હતો કે સામાન્ય ડિલિવરી દ્વારા. આ પાસું પણ પેટની સ્વસ્થતા નક્કી કરે છે.
આ બધી બાબતો સ્વસ્થ પેટને આકાર આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. હવે દરેક વ્યક્તિના પેટમાં રહેલા બૅક્ટેરિયા એકબીજાથી અલગ હોવાથી, સંશોધકોને તેમના સંબંધિત સંશોધન કરવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
જ્યારે વૈજ્ઞાનિકો કેટલાક ફાયદાકારક બૅક્ટેરિયા શોધવામાં સફળ રહ્યા છે, ત્યારે કયા બૅક્ટેરિયા અથવા જંતુઓ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનું કારણ બની શકે છે તે શોધવાનું હજુ પણ પડકારજનક છે.
ઇમ્પિરિયલ કૉલેજ લંડનના ક્લિનિકલ રિસર્ચ ફૅલો અને કન્સલ્ટન્ટ ફિઝિશિયન ડૉ. બેન્જામિન મુલીશ કહે છે, “તમે જે ખાઓ છો તેની સીધી અસર તમારા આંતરડામાં રહેલા બૅક્ટેરિયા પર પડે છે.”
“અમને જાણવા મળ્યું છે કે આહારમાં ફેરફાર – જેમ કે ખોરાકમાં માંસનું પ્રમાણ ઘટાડવું અથવા ફાઇબરયુક્ત ખોરાકનું પ્રમાણ વધારવું – આંતરડામાં બૅક્ટેરિયામાં નોંધપાત્ર ફેરફારો લાવી શકે છે.”
સંશોધન દર્શાવે છે કે દહીં, કીફિર પીણાં (દૂધમાંથી બનેલ પ્રોબાયોટિક પીણુંનો એક પ્રકાર) જેવા આથાવાળાં ડેરી ઉત્પાદનોનું સેવન કરવાથી લેક્ટોબેસિલસ અને બાયફિડોબેક્ટેરિયમ જેવા સારા બૅક્ટેરિયાના વિકાસમાં વધારો કરવામાં મદદ મળી શકે છે, જોકે તે તમારા આંતરડામાં બૅક્ટેરિયાને વૈવિધ્યીકરણ કરવામાં મદદ કરી શકતા નથી.
પરંતુ આહાર એકમાત્ર મહત્ત્વપૂર્ણ પરિબળ નથી. આ બાબતો પેટના સ્વાસ્થ્ય પર પણ ઊંડી અસર કરે છે-
ઊંઘ અને તણાવ: ઓછી ઊંઘ અને સતત તણાવ આંતરડાના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરે છે.
કસરત: શારીરિક પ્રવૃત્તિ અથવા કસરત આંતરડામાં રહેલા સ્વસ્થ સૂક્ષ્મજીવાણુઓને વિકસવામાં મદદ કરે છે.
ઍન્ટિબાયૉટિક્સ: દવા અને કૃષિમાં ઍન્ટિબાયૉટિક્સનો વધુ પડતો ઉપયોગ આંતરડામાં રહેલા બૅક્ટેરિયાને નુકસાન પહોંચાડી શકે છે અને સમય પછી આ દવાઓ તેમના પર બિનઅસરકારક બની જાય છે.
તાજેતરના જાપાની અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વધુ કઠોળ અને શાકભાજી ખાવાથી ફાયદાકારક આંતરડાના બૅક્ટેરિયા વધે છે અને તણાવ ઓછો થાય છે. લગભગ એક હજાર મહિલાઓ પર એક સંશોધન કરવામાં આવ્યું હતું, જેમાંથી મોટા ભાગની મહિલાઓ સ્વસ્થ હતી.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
આ સંશોધનમાં જાણવા મળ્યું છે કે પ્રોબાયોટિક્સ (જીવંત બૅક્ટેરિયા જે શરીર માટે ફાયદાકારક છે) અને ફાઇબરયુક્ત ખોરાક લેવાથી શરીરમાં લેચનોસ્પિયા નામના બૅક્ટેરિયાનું પ્રમાણ વધી શકે છે. આ બૅક્ટેરિયા આપણા પેટના સ્વાસ્થ્યને જાળવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
ડૉ. મુલીશ પેટ અને મગજ વચ્ચેના જોડાણ પર પણ ભાર મૂકે છે.
તેઓ કહે છે, “વેગસ નર્વ આપણા મગજ અને પેટને જોડે છે, અને સેરોટોનિન અને ડોપામાઇન જેવાં આવશ્યક રસાયણો આપણા પેટમાં ઉત્પન્ન થાય છે.” નવાં સંશોધનો દર્શાવે છે કે આંતરડાનું સ્વાસ્થ્ય આપણા વર્તન અને માનસિક સુખાકારીને પ્રભાવિત કરી શકે છે.
જો તમે તમારા પેટને સ્વસ્થ રાખવા માગતા હો, તો તમારા આહારમાં એવી વસ્તુઓનો સમાવેશ કરો જેમાં પ્રોબાયોટિક્સ હોય. સંશોધન દર્શાવે છે કે આ યોગ્ય પાચનમાં મદદ કરે છે, પેટનું ભારેપણું ઘટાડે છે અને રોગપ્રતિકારક શક્તિમાં પણ મદદ કરે છે.
એક આથાવાળો ખોરાક કે પીણું જે ખૂબ જ લોકપ્રિય છે તે છે-
ફાયદાકારક બૅક્ટેરિયા ધરાવતું દહીં
કોફીયર: ગાય, બકરી અથવા ઘેટાંના દૂધમાંથી બનાવવામાં આવતું પીણું જેમાં બૅક્ટેરિયા અને ખમીર મિશ્રિત હોય છે
સાવરક્રાઉટ: છીણેલી કોબી અને મીઠામાંથી બનેલી વાનગી… જે આથો લાવ્યા પછી ખાવામાં આવે છે
કિમ્ચી: તે એક પ્રકારની કોરિયન વાનગી છે. તેને બનાવવા માટે, તમારે નાપા કોબી, એક પ્રકારની ચાઇનીઝ કોબી, મૂળા, આદું, લસણ, કેપ્સિકમ, ફિશ સોસ (માછલીમાંથી બનાવેલી ચટણી) અને મીઠું જોઈએ છે
મિસો: આથો આપેલા સોયાબીન, મીઠું અને ચોખા અથવા જવમાંથી બનેલી પેસ્ટ
ટેમ્પેહ: આ એક પ્રોટીનથી ભરપૂર ઇન્ડોનેશિયન વાનગી છે જે સોયાબીન અને રાઇઝોપસ નામની ફૂગથી બને છે
કોમ્બુચા (ચા, ખાંડ, બૅક્ટેરિયા અને યીસ્ટમાંથી બનેલું પીણું), ડોસા અને નાટ્ટો (આથોવાળા સોયાબીનમાંથી બનેલી પરંપરાગત જાપાની વાનગી) પણ પેટ માટે ફાયદાકારક છે.
કોરિયન ફૂડ કિમચી જેવા આથાવાળા ખોરાક તેમના સ્વાસ્થ્ય લાભો માટે વિશ્વભરમાં લોકપ્રિય બન્યા છે. પરંતુ જો તમે પહેલાં ક્યારેય આથાવાળો ખોરાક ખાધો નથી, તો પાચનમાં કોઈ તકલીફ ન થાય તે માટે ઓછી માત્રાથી શરૂઆત કરો.
ફાઇબરયુક્ત ખોરાક ખાવાથી પાચનતંત્રમાં પણ સુધારો થાય છે. સંશોધન દર્શાવે છે કે તે પાચનતંત્રને અસર કરતા રોગોનું જોખમ પણ ઘટાડી શકે છે અને વજનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
ફાઇબરથી ભરપૂર ખોરાકમાં સામેલ છે:
- આખા અનાજ (જેમ કે ઓટ્સ, ક્વિનોઆ, બ્રાઉન રાઇસ)
- કઠોળ (મસૂર, ચણા, કાળા કઠોળ)
- ફળો (જેમ કે સફરજન, કેળાં, બેરી)
- શાકભાજી (જેમ કે બ્રોકોલી, ગાજર, આર્ટિકોક્સ)
- બદામ અને બીજ (જેમ કે બદામ, શણનાં બીજ, ચિયા બીજ)
હવે વાત કરીએ એવા ખાદ્ય પદાર્થો વિશે જે તમારું પેટ બગાડી શકે છે. આમાં પહેલો નંબર પ્રોસેસ્ડ ફૂડનો છે. જો તમે ખૂબ પ્રોસેસ્ડ ફૂડ ખાઓ છો તો તમારે જાણવું જોઈએ કે તેમાં એવાં તત્ત્વો હોય છે જે તમારા પેટમાં રહેલા સારા બૅક્ટેરિયાને નુકસાન પહોંચાડી શકે છે.
ઉદાહરણ તરીકે, ચિપ્સ, બિસ્કિટ, ઇન્સ્ટન્ટ નૂડલ્સ, પ્રોસેસ્ડ માંસ, મીઠા અનાજ, ખાવા માટે તૈયાર ખોરાક. જો તમે તમારા પેટને સ્વસ્થ રાખવા માગતા હો, તો બદામ, ફળો અથવા ઘરે બનાવેલા સ્વસ્થ નાસ્તા જેવા પ્રોસેસ્ડ ખોરાક ઓછા ખાઓ.
એસ્પાર્ટમ અને સેકરિન જેવા કૃત્રિમ સ્વીટનર્સ તમારા આંતરડાના બૅક્ટેરિયા અને બ્લડશુગર પર નકારાત્મક અસર કરી શકે છે. તે સામાન્ય રીતે ડાયેટ કોલ્ડડ્રિંક્સ, શુગર ફ્રી ચ્યુઇંગગમ અને ઓછી કેલરીવાળા નાસ્તામાં જોવા મળે છે. તેના બદલે તમે સ્ટીવિયા અથવા મોન્ક ફ્રૂટ પસંદ કરી શકો છો.
ઉચ્ચ ખાંડનું પ્રમાણ ધરાવતો ખોરાક:
કોઈ પણ ખોરાક જેમાં ખાંડનું પ્રમાણ વધુ હોય છે તે હાનિકારક બૅક્ટેરિયા માટે અનુકૂળ વાતાવરણ બનાવવામાં મદદ કરે છે. આ તેમની સંખ્યા વધારે છે અને પેટમાં બળતરા પણ પેદા કરી શકે છે. તેથી, પેસ્ટ્રી, કેક, સફેદ બ્રેડ, પાસ્તા, સોડા, ઍનર્જી ડ્રિંક્સ, પૅકેજ્ડ જ્યૂસ જેવી વસ્તુઓ ટાળો. જો તમને કંઈક મીઠી ખાવાનું મન થાય છે, તો ફળો અથવા ડાર્ક ચૉકલેટ ખાઓ.
દારૂ:
કોઈ પણ પ્રકારનો આલ્કોહોલ તમારા પેટ માટે હાનિકારક છે. તે ઊંઘ, માનસિક સ્વાસ્થ્ય અને પેટના બૅક્ટેરિયા પર ખરાબ અસર કરી શકે છે. રેડ વાઇનમાં પોલીફેનોલ્સ હોય છે, પરંતુ આલ્કોહોલથી થતા નુકસાન તેના ફાયદા કરતાં વધુ હોય છે. જો તમે દારૂ પીતા હો, તો તેને ઓછી માત્રામાં પીવો અને પેટ માટે ફાયદાકારક હોય તેવું કંઈક ખાઓ.
લાલ અને પ્રોસેસ્ડ માંસ:
આ પેટમાં રહેલા સૂક્ષ્મજીવાણુનું સંતુલન બગાડી શકે છે અને કોલોન કૅન્સરનું જોખમ વધારી શકે છે. તેથી, માછલી, મસૂર અથવા ચિકન જેવા સ્વસ્થ પ્રોટીન વિકલ્પોને પ્રાધાન્ય આપો. ક્યારેક ક્યારેક તમારા આહારમાં લાલ માંસનો સમાવેશ ન કરો.
ફાસ્ટ ફૂડ
ઘણીવાર અલ્ટ્રા-પ્રોસેસ્ડ અને ખાંડનું પ્રમાણ વધારે હોય છે, તેથી તેનાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે
ડૉ. મેકડોનાલ્ડ ભાર મૂકે છે કે ખોરાકમાં ફાઇબરનું પ્રમાણ વધારવાથી પેટનું સ્વાસ્થ્યને સારું રહે છે. ડાયેટિશિયન કિર્સ્ટન જેક્સન દરરોજ આહારમાં ઓછામાં ઓછા 30 ગ્રામ ફાઇબરનો સમાવેશ કરવાની સલાહ આપે છે.
આ અનાજ, ફળો, શાકભાજી, બીજ, બદામ, કંઈ પણ હોઈ શકે છે. ફાઇબર સૂક્ષ્મજીવાણુઓને પોષણ આપે છે અને કબજિયાત જેવી સમસ્યાઓ દૂર કરે છે.
કેટલાક સરળ ઉકેલો
- પેટના સારા સ્વાસ્થ્ય માટે, તમારા આહારમાં વિવિધ પ્રકારના છોડ આધારિત ખોરાકનો સમાવેશ કરો
- દહીં, કીફિર જેવા પ્રોબાયોટિક્સ અને ફાઇબરયુક્ત ખોરાક જેવા પ્રીબાયોટિક્સ ખાઓ
- પાચનક્રિયા યોગ્ય રીતે થાય તે માટે પુષ્કળ પાણી પીવો
- ઊંઘ, કસરત અને ધ્યાન, આ તણાવ ઘટાડવામાં મદદ કરે છે
- જ્યારે ખૂબ જ જરૂરી હોય ત્યારે જ એન્ટિબાયોટિક્સ લો
જેક્સન કહે છે કે, ”તમારા આહારમાં આ નાના પણ મહત્ત્વપૂર્ણ ફેરફારો કરવા અને તેમને વળગી રહેવું એ અચાનક થયેલા ફેરફારો કરતાં વધુ અસરકારક અને ટકાઉ છે.”
તેઓ કહે છે, “તમારા આંતરડાના સ્વાસ્થ્યને સુધારવા માટે દર અઠવાડિયે એક નાનું લક્ષ્ય નક્કી કરો. જો તમે સમજી-વિચારીને ખાઓ અને સારી જીવનશૈલી અપનાવો, તો તે ફક્ત તમારા પાચનતંત્રને મજબૂત બનાવશે નહીં, પરંતુ તમારી રોગપ્રતિકારક શક્તિ અને માનસિક સ્થિતિમાં પણ સુધારો કરી શકે છે.”
અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.










