કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ પોતાના સબ્સક્રાઇબર્સ માટે રાહતભરી જાહેરાત કરી છે. EPFO એ કર્મચારી ભવિષ્ય નિધિના સભ્યો માટે EPF ક્લેમ સેટલમેન્ટ પર વ્યાજની ચુકવણીના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે.
30 નવેમ્બર, 2024 ના રોજ, સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી (CBT) એ તેના નિર્ણયમાં EPFOની કલમ 60(2)(b) માં નિયમોમાં ફેરફાર કર્યો છે.
તે લાગૂ થયા બાદ સભ્યોને વધુ વ્યાજ મળશે અને સેટલમેન્ટ ઝડપી બનશે. આ જાણકારી ઇકોનોમિક ટાઇમ્સના એક રિપોર્ટમાં આપવામાં આવી છે.

મહત્વનું છે કે હજુ સુધી નવો નિયમ લાગૂ થયો નથી. નવો નિયમ સરકારના નોટિફિકેશન બાદ જાહેર થશે. ત્યાં સુધી જૂનો નિયમ અમલમાં રહેશે.
શું થવાનો છે ફેરફાર?
ઈપીએફઓ તરફથી કરવામાં આવેલી જાહેરાત અનુસાર ‘CBT એ EPF સ્કીમ 1952ના પેરેગ્રાફ 60(2)(b)માં મહત્વપૂર્ણ સુધારાને મંજૂરી આપી છે. હાલના નિયમો મુજબ, મહિનાની 24મી તારીખ સુધીમાં સેટલમેન્ટ પરનું વ્યાજ પાછલા મહિનાના અંત સુધી ચૂકવવામાં આવે છે.
હવે સભ્યોને સેટલમેન્ટની તારીખ સુધી વ્યાજ મળશે. EPFOનું માનવું છે કે રોકાણકારોને આનાથી વધુ વ્યાજ મળશે. આ ઉપરાંત કેસોનો પણ ઝડપથી નિકાલ કરવામાં આવશે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
વર્તમાન સમયમાં 25 તારીખથી મહિનાના અંત સુધી સેટલમેન્ટ કરવામાં આવતું નથી. તેની પાછળનું કારણ સભ્યોને વ્યાજના નુકસાનથી બચાવવાનું હતું. પરંતુ હવે આખા મહિનાનું સેટલમેન્ટ કરી શકાય છે. ઈપીએફઓએ કહ્યું કે આ નિર્ણય દર્શાવે છે કે સંસ્થા કેટલી સક્ષમ, પારદર્શી અને સભ્યો કેન્દ્રીત છે.
કઈ રીતે થશે ફાયદો
ધારી લો કે કોઈ ઈપીએફ સભ્યનું કુલ બેલેન્સ 5 લાખ રૂપિયાનું છે. વર્તમાન સમયમાં વ્યાજદર 8.25 ટકા છે. તેવામાં જો કોઈ વ્યક્તિ મહિનાની 23 તારીખે સેટલમેન્ટ કરે છે તો તેને આ નિયમ લાગૂ થયા બાદ 23 દિવસનું વ્યાજ મળશે. અત્યાર સુધી સેટલમેન્ટના એક મહિના પહેલા સુધીનું વ્યાજ મળતું હતું. જેના કારણે ઈપીએફ સભ્યોને નુકસાન ઉઠાવવું પડતું હતું.