કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં આયુષ્માન ભારત યોજના પર મોટી જાહેરાત કરી શકે છે. એવું જાણવા મળ્યું છે કે, કવર કરેલી રકમ વધારીને 10 લાખ રૂપિયા કરવાની ભલામણ કરવામાં આવી છે. જોકે આ અંગે સરકાર દ્વારા સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. હાલમાં આ યોજનાના લાભાર્થી પરિવારોને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળે છે.
એક ખાનગી મીડિયા અહેવાલ મુજબ આરોગ્ય અંગેની સંસદીય સ્થાયી સમિતિએ યોજનાની રકમ વધારીને 10 લાખ રૂપિયા કરવાની ભલામણ કરી છે.

આનું કારણ આરોગ્ય સંભાળ પર થતો મોટો ખર્ચ હોવાનું કહેવાય છે. એટલું જ નહીં યોજના માટે વય મર્યાદા વધારવાનો પ્રસ્તાવ પણ આપવામાં આવ્યો છે જે હેઠળ 60 વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને યોજનામાં સામેલ કરવામાં આવશે. અગાઉ સરકારે 70 વર્ષના વરિષ્ઠ નાગરિકોને આ યોજનાના લાભાર્થી બનાવ્યા હતા. ભલે તેમની આર્થિક પરિસ્થિતિ ગમે તે હોય.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સમિતિનો મત છે કે, આયુષ્માન વાયા વંદના કાર્ડ માટે વય મર્યાદા 70 વર્ષ અને તેથી વધુ છે, જેને વધારીને 60 વર્ષ અને તેથી વધુ કરવી જોઈએ. તેમની સામાજિક-આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના જેથી સામાન્ય લોકોના હિતમાં યોજનાનો વ્યાપ વધારી શકાય.
બજેટથી નીચે આવી રહ્યો છે ખર્ચ
સમિતિએ ફાળવેલ બજેટના ઓછા ખર્ચ વિશે પણ વાત કરી છે. અહેવાલમાં જણાવાયું છે કે, નાણાકીય વર્ષ 2024 માટે 7200 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા, જે ઘટાડીને 6800 કરોડ રૂપિયા કરવામાં આવ્યા હતા. જ્યારે વાસ્તવિક ખર્ચ ફક્ત 6670 કરોડ રૂપિયા હતો.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
નાણાકીય વર્ષ 2025 માટે બજેટ ફાળવણી 7605 કરોડ રૂપિયા હતી પરંતુ 9 જાન્યુઆરી સુધીનો ખર્ચ ફક્ત 5034.03 કરોડ રૂપિયા હતો.
હવે નાણાકીય વર્ષ 2026 માટે બજેટ વધારીને 9406 કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે, 2026માં ફાળવેલ બજેટમાં વધારો કરવાનું કારણ વૃદ્ધોને યોજનાના દાયરામાં લાવવા અને ઓડિશા અને દિલ્હીમાં યોજના શરૂ કરવાનો હોઈ શકે છે.