DBS Bank India: સિંગાપોરની DBS બેંકની ભારતીય પેટાકંપની DBS બેંક ઇન્ડિયાએ તેના બચત ખાતા ધારકો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે.
બેંકે જણાવ્યું છે કે, ઓગસ્ટ 1, 2025 થી, જો બચત ખાતામાં સરેરાશ માસિક બેલેન્સ (AMB) જાળવવામાં નહીં આવે, તો ગ્રાહકોને દંડ ચૂકવવો પડશે. આ નવા નિયમ મુજબ, બેલેન્સની ખાધ રકમ પર 6% નો દંડ લાદવામાં આવશે, જેની મહત્તમ મર્યાદા ₹500 રહેશે.

નિયમ શું કહે છે?
DBS બેંક ઇન્ડિયા દ્વારા પોતાની વેબસાઇટ પર આ અંગેની માહિતી આપવામાં આવી છે. બેંકના જણાવ્યા અનુસાર, DBS બેંક સેવિંગ્સ ખાતા અને ગ્રોથ સેવિંગ્સ ખાતા સહિત મોટાભાગના બચત ખાતા માટે સરેરાશ માસિક બેલેન્સ ₹10,000 રાખવું ફરજિયાત છે. જો આ નિર્ધારિત રકમ કરતાં ખાતામાં બેલેન્સ ઓછું હોય, તો તે શોર્ટફોલ ગણાશે અને તેના પર 6% દંડ લાગુ પડશે.
ઉદાહરણ તરીકે, જો તમારા ખાતામાં સરેરાશ માસિક બેલેન્સ ₹8,500 છે, તો ₹1,500 નો શોર્ટફોલ ગણાશે (₹10,000 – ₹8,500). આ ₹1,500 પર 6% દંડ લાદવામાં આવશે. આ નવો નિયમ 1 ઓગસ્ટ, 2025 થી અમલમાં આવશે.
વિવિધ ખાતાઓ માટે અલગ AMB:
DBS બેંકના વિવિધ ખાતા પ્રકારો માટે સરેરાશ માસિક બેલેન્સની આવશ્યકતાઓ અલગ-અલગ છે:
SB Others ખાતા: ₹1,000
ગ્રોથ વન સેવિંગ્સ ખાતા: ₹5,000
DBS બેંક સેવિંગ્સ ખાતા: ₹10,000
ગ્રોથ સેવિંગ્સ ખાતા: ₹10,000
લક્ષ્મી સેવિંગ્સ યુવા પાવર ખાતા: ₹100
TASC સેવિંગ્સ યુવા પાવર ખાતા: ₹10,000
જોકે, સરેરાશ માસિક બેલેન્સ ન જાળવવા બદલ તમામ ખાતાધારકોને શોર્ટફોલ પર 6% દંડ ચૂકવવો પડશે.
ATM માંથી રોકડ ઉપાડ પર પણ ચાર્જ:
ઉલ્લેખનીય છે કે, RBI (રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા) ની માર્ગદર્શિકાને અનુસરીને, DBS બેંકે મે 1, 2025 થી કોઈપણ નોન-DBS ATM માંથી રોકડ ઉપાડ પર પણ ચાર્જ વસૂલવાનું શરૂ કર્યું છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
મફત મર્યાદા પછી કરવામાં આવતા ATM વ્યવહારો પર ₹23 પ્રતિ ટ્રાન્ઝેક્શન ફી વસૂલવામાં આવશે. RBI એ માર્ચ 28, 2025 ના રોજ જારી કરાયેલા નોટિફિકેશનમાં ATM ટ્રાન્ઝેક્શન ફી ₹21 થી વધારીને ₹23 કરી હતી.
આ ચાર્જ પાંચ મફત ATM વ્યવહારો પછી લાગુ પડશે. ગ્રાહકોને આ નવા નિયમો ધ્યાનમાં રાખીને તેમના ખાતામાં પૂરતું બેલેન્સ જાળવવા અને ATM વ્યવહારો કરતી વખતે કાળજી રાખવા સલાહ આપવામાં આવે છે.