યુપીઆઈ ટ્રાન્ઝેક્શન ફેઈલ થઈ જાય તો શું થશે?
આજના સમયમાં મોબાઈલથી યુપીઆઈ દ્વારા ચુકવણી કરવી આપણા જીવનનો મહત્વનો ભાગ બની ગયું છે. પણ જો કોઈ ટેકનિકલ કારણોસર યૂપીઆઈ અચાનક બંધ થઈ જાય તો? આવી સ્થિતિમાં તમે તમારા રોજિંદા ખર્ચાઓની ચુકવણી કેવી રીતે કરી શકશો?
શું થાય જ્યારે યુપીઆઈ ઠપ થઈ જાય?
ફક્ત ભ્રષ્ટાચારના પુલ જ નહિ, ક્યારેક યુપીઆઈ સિસ્ટમ પણ “ક્રેશ” થાય છે. હા, આ ભૂલ ભ્રષ્ટાચારના કારણે નહિ પરંતુ ટેકનિકલ સમસ્યાઓના કારણે થાય છે. આવું જ ગયા શનિવાર, એટલે કે 12 એપ્રિલે અનેક લોકો સાથે બન્યું હતું.

શક્ય છે કે તમે રેસ્ટોરન્ટમાં ખાવા ગયા છો અને ચુકવણી વખતે યૂપીઆઈ બંધ થઈ ગયું હોય. કે પછી કેબમાં મુસાફરી કર્યા પછી પેમેન્ટ કરતી વખતે પણ મુશ્કેલી પડી હશે. કંઈક ખરીદવાનું ઈચ્છો છો અને યૂપીઆઈના કારણે પેમેન્ટ નથી થઈ રહ્યું હોય.
15 દિવસમાં 3 વાર યુપીઆઈ બંધ
ગત 15 દિવસમાં યુપીઆઈ સેવા ત્રણ વાર બંધ થઈ ગઈ હતી, જેના કારણે લાખો લોકોને પેમેન્ટ કરવામાં મુશ્કેલી થઈ હતી . 26 માર્ચે લગભગ 3 કલાક માટે સેવા ઠપ રહી. 2 એપ્રિલે પણ કલાકો સુધી પેમેન્ટમાં ખલેલ આવી. અને 12 એપ્રિલે પણ લગભગ 3 થી 4 કલાક યુપીઆઈ સેવ બંધ રહી.
યુપીઆઈ કેવી રીતે સંચાલિત થાય છે?
ભારતમાં યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમનું સંચાલન નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) કરે છે, જે RBI અને વિવિધ બેંકો સાથે મળીને કામ કરે છે. એનપીસીઆઈનું કહેવું છે કે આ તકલીફો ટેકનિકલ કારણોસર થઈ હતી.
એવી સમસ્યાઓ કેમ થાય છે?
વિશેષજ્ઞો કહે છે કે યુપીઆઈ પેમેન્ટનો ભાર વધી જતાં આવી તકલીફો સર્જાય છે. અને આવું ફરીથી પણ થઈ શકે છે.
આંકડાઓ પર નજર કરીએ
હાલ દેશમાં 35 કરોડથી વધુ યુપીઆઈ યુઝર્સ છે. 34 કરોડથી વધુ યૂપીઆઈ ક્યૂઆર કોડ છે. 661થી વધુ બેંકો યુપીઆઈ સાથે જોડાયેલી છે. રોજે રોજ અંદાજે 60 કરોડ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન થાય છે . દર કલાકે આશરે 2.5 કરોડ અને દર મિનિટે 4,16,666 ટ્રાન્ઝેક્શન!
યુપીઆઈનો દિનપ્રતિદિન વિકસતો રેકોર્ડ
માર્ચ 2025માં કુલ 1830 કરોડ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન થયાં. જેમાં રૂ. 24,77,221 કરોડનું લેવડદેવડ થયું. આ અત્યારસુધીનો સૌથી મોટો મહિનાવાર રેકોર્ડ છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
માર્ચ 2020માં માત્ર રૂપિયા 2,06,462 કરોડનું ટ્રાન્ઝેક્શન થયું હતું. ફક્ત પાંચ વર્ષમાં તેમાં 1100 ટકા ઉછાળો આવ્યો છે. સંખ્યાની દ્રષ્ટિએ પણ 1136 ટકા વધારો નોંધાયો છે.
ઘરેથી નીકળતાં પહેલા થોડી રોકડ જરૂર રાખો
આજની તારીખે પાણીપુરીથી લઈને 5-સ્ટાર હોટલ સુધી, શાકભાજી ખરીદીથી લઈને મૉલમાં શોપિંગ સુધી, બધે યુપીઆઈ ચાલે છે. લોકો હવે રોકડ રૂપિયા રાખતા જ નથી કે બહુ ઓછા રાખે છે. જેના કારણે ગયા શનિવારે હજારો લોકો મુશ્કેલીમાં પડ્યા.
સૂચન
યુપીઆઈ સિસ્ટમ ખૂબ મજબૂત છે અને તે હવે ભૂતાન, શ્રીલંકા, ફ્રાન્સ, સિંગાપુર, UAE સહિત 10થી વધુ દેશોમાં પણ ઉપયોગમાં લેવાય છે.
તેમ છતાં, ટેકનિકલ તકલીફો અને સિસ્ટમ અપગ્રેડ જેવી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને તમારા પર્સ કે વૉલેટમાં થોડી રોકડ જરૂર રાખો. જ્યારે યુપીઆઈ ન ચાલે ત્યારે એ પૈસા ખૂબ ઉપયોગી સાબિત થાય છે.