આગામી સમયમાં જ્યારે તમે નોકરી બદલશો ત્યારે તમારા માટે તમારા PF એકાઉન્ટને ટ્રાન્સફર કરવાનું પહેલા કરતાં વધુ સરળ બનશે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ નોકરી બદલતી વખતે PF એકાઉન્ટ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયાને સરળ બનાવી છે.
આ માટે મોટાભાગના કિસ્સાઓમાં નોકરીદાતા પાસેથી મંજૂરી લેવાની જરૂર નથી. શુક્રવારે એક સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપવામાં આવી હતી.
બધા ટ્રાન્સફર દાવાઓની મંજૂરીની જરૂરિયાત દૂર કરી
સમાચાર અનુસાર, શ્રમ અને રોજગાર મંત્રાલયે જણાવ્યું હતું કે અત્યાર સુધી બે કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) કચેરીઓ PF થાપણોના ટ્રાન્સફરમાં સામેલ હતી – સ્ત્રોત કાર્યાલય, જ્યાંથી PF રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી અને ડેસ્ટિનેશન કાર્યાલય, જ્યાંથી રકમ આખરે જમા કરવામાં આવી હતી.

હવે પ્રક્રિયાને વધુ સરળ બનાવવાના ઉદ્દેશ્ય સાથે EPFO એ સુધારેલ ફોર્મ 13 સોફ્ટવેર કાર્યક્ષમતા રજૂ કરીને ડેસ્ટિનેશન કાર્યાલયમાં તમામ ટ્રાન્સફર દાવાઓની મંજૂરીની જરૂરિયાત દૂર કરી છે.
1.25 કરોડથી વધુ EPFO સભ્યોને લાભ
મંત્રાલયે જણાવ્યું હતું કે હવેથી ટ્રાન્સફરર (સોર્સ)ઓફિસમાં ટ્રાન્સફર ક્લેમ મંજૂર થયા પછી અગાઉનું ખાતું ટ્રાન્સફરી (ડેસ્ટિનેશન) ઓફિસમાં સભ્યના ચાલુ ખાતામાં આપમેળે ટ્રાન્સફર થઈ જશે. આ EPFO સભ્યો માટે જીવન સરળ બનાવવાનું લક્ષ્ય પ્રાપ્ત કરશે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
આ સુધારેલી કાર્યક્ષમતા PF સંચયના કરપાત્ર અને બિન-કરપાત્ર ઘટકોના વિભાજનની પણ જોગવાઈ કરે છે, જેથી કરપાત્ર PF વ્યાજ પર TDS ની ચોક્કસ ગણતરી કરી શકાય.
આ સુવિધાથી રૂપિયા 1.25 કરોડથી વધુ EPFO સભ્યોને લાભ થવાની અપેક્ષા છે, જેનાથી દર વર્ષે લગભગ રૂપિયા 90 હજાર કરોડ ટ્રાન્સફર થઈ શકશે, કારણ કે હવેથી સમગ્ર ટ્રાન્સફર પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવશે.










