આપણી આસપાસ અનેક લોકોને સાંધામાં દુખાવો, સોજો અને ચાલવામાં સમસ્યા જોવા મળે છે. તેનું એક મુખ્ય કારણ શરીરમાં યૂરિક એસિડનું પ્રમાણ વધવાનું હોય છે, પરંતુ ઘણા લોકોને ખબર નથી હોતી કે યૂરિક એસિડનું સામાન્ય લેવલ શું હોવું જોઈએ અને તે ક્યારે ખતરનાક બની જાય છે.
આ સ્થિતિમાં વ્યક્તિ પીડામાં હોવા છતાં પણ આ બાબતને અવગણતો રહે છે. જે સ્વાસ્થ્ય માટે સારું નથી. ચાલો એક્સપર્ટ પાસેથી જાણીએ કે યૂરિક એસિડ શું છે, તેનું સામાન્ય લેવલ શું છે અને તેને કંટ્રોલમાં રાખવા માટે શું કરવું જોઈએ.
શું છે યૂરિક એસિડ?
એક્સપર્ટ અનુસાર યૂરિક એસિડ એ શરીરમાં બનતો એક પ્રકારનો કચરો હોય છે જે શરીરમાં હાજર પ્યુરિન નામના તત્વના તૂટવાથી બને છે. આપણા આહારમાં લાલ માંસ, માછલી, કઠોળ અને બીયર વગેરે જેવા અમુક ખોરાકમાં પ્યુરિન જોવા મળે છે.

જ્યારે યૂરિક એસિડ વધારે માત્રામાં બનવા લાગે છે અને કિડની તેને યોગ્ય રીતે દૂર કરવામાં અસમર્થ બને છે ત્યારે તે લોહીમાં જમા થવા લાગે છે.
યૂરિક એસિડનું સામાન્ય લેવલ કયુ?
એક્સપર્ટ મુજબ શરીરમાં યૂરિક એસિડનું સામાન્ય લેવલ આ રીતે હોવું જોઈએ, પુરુષો માટે તે 3.4 કે 4.5 થી 7.0 mg/dL હોવું જોઈએ, જ્યારે સ્ત્રીઓ માટે તે 2.4 અથવા 3.5 થી 6.0 mg/dL હોવું જોઈએ.
જો તમારા ટેસ્ટમાં યૂરિક એસિડનું લેવલ એનાથી વધુ હોય તો તમને હાઈ યૂરિક એસિડ એટલે કે હાઈપરયુરિસેમિયાની સમસ્યા હોઈ શકે છે, જે સંધિવા, કિડનીમાં પથરી અને સાંધામાં સોજો જેવા લક્ષણોનું કારણ બની શકે છે.
યૂરિક એસિડ વધવાના લક્ષણો
શરીરમાં યૂરિક એસિડ વધવાના ઘણા કારણો હોઈ શકે છે. પ્રોટીનથી ભરપૂર ખોરાક ખાવામાં બેદરકારીને કારણે યુરિક એસિડ ઝડપથી વધે છે. આ સ્થિતિમાં આપણે આહારનું ખૂબ ધ્યાન રાખવાની જરૂર હોય છે.
જો શરીરમાં યૂરિક એસિડનું પ્રમાણ વધારે હોય તો પગના અંગૂઠા કે પગના સાંધામાં તીવ્ર દુખાવો અને સોજો, સાંધામાં ગરમી કે લાલાશ, ચાલવામાં કે ઉઠવામાં તકલીફ, પેશાબ કરતી વખતે બળતરા કે દુખાવો, થાક અને નબળાઈની લાગણી આ બધા લક્ષણો જોવા મળે છે.
કેમ વધે છે યૂરિક એસિડ?
લાલ માંસ, દરિયાઈ માછલી, કઠોળ, આલ્કોહોલ (ખાસ કરીને બીયર) નું વધુ પડતું સેવન કરવાથી શરીરમાં યૂરિક એસિડનું પ્રમાણ ઝડપથી વધે છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
આ સિવાય મેદસ્વીપણુ, શારીરિક પ્રવૃત્તિનો અભાવ, ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, દવાઓની આડઅસર, આનુવંશિક કારણો (જેમના પરિવારના સભ્યોને પહેલાથી જ આ સમસ્યા છે) ધરાવતા લોકોને યૂરિક એસિડ વધવાનું જોખમ વધારે હોય છે.
યૂરિક એસિડને આ રીતે કરવું કંટ્રોલ?
- દિવસભરમાં ઓછામાં ઓછા 8-10 ગ્લાસ પાણી પીવાથી શરીરમાંથી યૂરિક એસિડ દૂર કરવામાં મદદ મળે છે.
- લાલ માંસ, મસૂર, રાજમા, ચણા, માછલી, બીયર, મશરૂમ, પાલક જેવા હાઈ પ્યુરિનવાળા ખોરાક ખાવાનું ટાળો.
- સફરજન, ચેરી, કાકડી, દૂધી અને ટામેટાં જેવા તાજા ફળો અને શાકભાજીનું સેવન વધારો.
- વજન કંટ્રોલમાં રાખવા માટે દરરોજ હળવી કસરત કરો. જેમાં ચાલવું, યોગા અથવા સાયકલ ચલાવવાનો સમાવેશ થાય છે.
- જો યૂરિક એસિડ ખૂબ વધારે હોય તો ડૉક્ટર એલોપ્યુરિનોલ અથવા ફેબ્યુક્સોસ્ટેટ જેવી દવાઓ લખી શકે છે.
ડૉક્ટરને ક્યારે મળવું?
જો તમને સાંધામાં સતત દુખાવો રહેતો હોય, સોજો ઓછો થતો ન હોય અથવા યૂરિક એસિડનું સ્તર 8.0 mg/dL થી ઉપર પહોંચી ગયું હોય તો તમારે તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. જો સમયસર સારવાર ન કરવામાં આવે તો તે સંધિવા (ગાઉટ) અથવા કિડની ડેમેજનું કારણ બની શકે છે.
અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.