રાજ્ય સરકારનો ખેડૂતલક્ષી નિર્ણય/ 630 કરોડનું પાક નુકસાની સહાય પેકેજ જાહેર, જાણો ક્યાં ક્યાં જિલ્લાને મળશે લાભ?

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના 8 લાખથી વધુ ખેડૂત ખાતેદારોના વ્યાપક હિતમાં ખેડુતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય કરીને રૂ. 630.34 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યુ છે. રાજ્યમાં 2022ની ખરીફ ઋતુમાં ભારે વરસાદને કારણે ખેડૂતોના પાકને થયેલા નુકસાન માટે આ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.

આ વર્ષે ભારે વરસાદને કારણે 14 જિલ્લામાં ખેતરોમાં પાણી ભરાવાને કારણે ખેતી પાકોને વ્યાપક નુકસાન થયુ હતું. છોટાઉદેપુર, નર્મદા, પંચમહાલ, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, સુરત, કચ્છ, જૂનાગઢ, મોરબી, પોરબંદર, આણંદ અને ખેડા જિલ્લાઓના કુલ 50 તાલુકાઓના 2,554 ગામોમાં પાક નુકસાની અંગેના અહેવાલો સંબંધિત જિલ્લા તંત્ર મારફતે રાજ્ય સરકારને મળ્યા હતા.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ અહેવાલોના સર્વગ્રાહી આકલન અને ખેડૂતો, ખેડૂત સંગઠનો તથા પ્રજા પ્રતિનિધિઓની રજૂઆતો સંદર્ભે સંવેદનાપૂર્ણ અભિગમ અપનાવીને આ રૂ. 630.34 કરોડના સહાય પેકેજની ઘોષણા કરી છે. રાજ્યમાં અંદાજે 9.12 લાખ હેક્ટર જમીન વિસ્તારમાં 8 લાખથી વધુ ધરતીપુત્રોને આ પેકેજનો લાભ મળશે.

કૃષિમંત્રી શ્રી રાઘવજી પટેલે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે જાહેર કરેલા આ સહાય પેકેજની વિસ્તૃત વિગતો આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ ઉદારત્તમ સહાય પેકેજ અંતર્ગત એવું નિર્ધારીત કરવામાં આવ્યું છે કે, 33 ટકા અને તેનાથી વધુ પાક નુકસાન થયું હોય તેવા ખેડૂત ખાતેદારોને ખેતી પાકો માટે (કેળ સિવાયના) હેક્ટર દિઠ રૂ. 6,800 સહાય મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં SDRF તેમજ સ્ટેટ બજેટમાંથી આપવામાં આવશે.

જ્યારે કેળ પાકને થયેલા નુકસાન માટે કુલ રૂ. 30,000 ની હેક્ટર દિઠ સહાય વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં (SDRF બજેટ માંથી રૂ. 13,500 પ્રતિ હેકટર ઉપરાંત રાજ્ય બજેટમાંથી વધારાની સહાય તરીકે રૂ. 16,500 પ્રતિ હેકટર) આપવાની જોગવાઈ આ પેકેજમાં કરવામાં આવેલી છે.

કૃષિ મંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, જે કિસ્સામાં જમીન ધારકતાના આધારે SDRFના ધોરણો અનુસાર સહાયની ચૂકવવાપાત્ર રકમ રૂ. 4 હજાર કરતાં ઓછી થતી હોય તો પણ તેવા કિસ્સામાં ઓછામાં ઓછી રૂ. 4 હજારની સહાય ચૂકવવાની રહેશે તેવો મહત્વપૂર્ણ નિર્ણય પણ કરવામાં આવેલો છે.

આ પેકેજનો લાભ ખેડૂતોને ત્વરિત અને વિના-વિલંબે મળે અને સંપૂર્ણ કાર્યવાહી ઓનલાઈન થાય તે હેતુસર સરકારે ડિજિટલ ગુજરાત માધ્યમ પર કૃષિ રાહત પેકેજ પોર્ટલ ખુલ્લું મૂકવાની તથા આ માટે ખેડૂતો દ્વારા સાધનિક કાગળો સહિત નજીકના ઈ-ગ્રામ સેન્ટર પર ઓનલાઈન અરજી માટેની વ્યવસ્થા ઊભી કરેલી છે.

પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ નિયત અરજી પત્રકના નમૂનામાં ગામ નમૂના નં. ૮-અ, તલાટીનો વાવેતરનો દાખલો/ગામ નમૂના નં. ૭-૧૨, આધાર નંબર, મોબાઇલ નંબર, બેંક એકાઉન્ટ નંબર, IFSC કોડ તથા નામ દર્શાવતી બેન્ક પાસબુક પાનાની નકલ, સંયુક્ત ખાતાના કિસ્સામાં સંયુકત ખાતેદારો પૈકી એક જ ખાતેદારને લાભ અપાય તે અંગેનો અન્ય ખાતેદારોની સહી વાળો “ના-વાંધા અંગેનો સંમતિ પત્ર” વગેરે સાધનિક વિગતો સાથે તાલુકા વિકાસ અધિકારીને નિયત નમૂનામાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.

આવી વધારે માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *