ટીટોડીનાં ઈંડા પરથી અંબાલાલ પટેલનું તારણ; આ વર્ષે કેવો વરસાદ થશે? જાણો તારણ કાઢવાની રીત

WhatsApp Group Join Now

સામાન્ય રીતે હવામાન વિભાગ દ્વારા વરસાદ, ચોમાસું કે ગરમી-ઠંડીની આગાહી કરવામાં આવે છે, પરંતું ભારતમા વરસાદની આગાહી કરવાની અનેક પારંપરિક રીતો છે, જેને વરસાદનો વરતારો કહેવામાં આવે છે. આ કોઈ વૈજ્ઞાનિક પદ્ધતિ નથી, પરંતુ આવી આગાહીઓ કરવાની શૈલી આપણા પૂર્વજોએ વિકસાવેલી છે. જેના દ્વારા આજે પણ સચોટ અનુમાન કરવામાં આવે છે. એવામાં ટીટોડી પક્ષીના ઈંડા મૂકવાની પદ્ધતિ પરથી વરસાદની કરાતી આગાહી વિશે જાણિતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ તારણ કાઢવામાં આવ્યું છે.

નક્ષત્રો, પવનની દિશા, વાતાવરણમાં થતાં ફેરફાર, પક્ષીઓની ચેષ્ટા વગેરે પરથી ચોમાસાનું અનુમાન લગાવવામાં આવતું હોય છે. આવામાં એક લોકવાયકા એવી છે કે ટીટોડીના ઈંડા મૂકવાની પદ્ધતિ પરથી ચોમાસું કેવુ જશે તે અનુમાન કરાતુ હોય છે. આ વિશે અંબાલાલ પટેલે જણાવ્યું કે, ટિટોડીએ ઈંડા મૂક્યા છે તે જગ્યા કેવી છે અને કેટલી ઊંચી છે, કેટલા ઈંડા મૂક્યા છે, કયા મહિને મૂક્યા છે તેના આધારે વરસાદનો વરતારો કાઢવામાં આવે છે.

ટીટોડી કેટલા ઈંડા મૂકે છે તેના પરથી ચોમાસાનું અનુમાન
અંબાલાલ પટેલ વરતારો કાઢવાની રીત વિશે જણાવે છે કે, ટીટોડી અષાઢ મહિનામાં ઈંડા મૂકે તે મહત્વનું છે. સાથે જ ટીટોડી કેટલા ઈંડા મૂકે છે તે પણ ઘણું મહત્વનુ છે. જો તે ચાર ઈંડા મૂકે તો એવુ કહેવાય છે કે, વરસાદના ચારેય મહિના સારા જશે. જો એક ઈંડુ મૂકે તો અષાઢમાં વરસાદ, જો બે ઈંડા મૂકે તો શ્રાવણ માસમાં વરસાદ અને ત્રણ ઈંડા મૂકે તો ભાદરવા મહિનામાં વરસાદ સારો થાય છે.

ટીટોડી કઈ જગ્યા પર ઈંડા મૂકે તેનુ અનુમાન
ટીટોડી કઈ જગ્યા પર ઈંડા મૂકે તે પણ વરસાદનો વરતારો કાઢવામાં મહત્વનો ભાગ ભજવે છે. ટિટોડી ઊંચા સ્થાન પર ઈંડા મૂકે તો ચોમાસું ભરપૂર રહે છે. ટીટોડી ઈંડા નીચે મૂકે તો ચોમાસું નબળું રહે છે તેમજ સૂકા તળાવ વચ્ચે ઈંડા મૂકે તો ચોમાસું નબળું રહે છે.

ઈંડા કેવી રીતે મૂકાયેલા છે તેનુ અનુમાન
આ ઉપરાંત ઈંડા કેવી રીતે મૂકાયેલા છે તેનુ અનુમાન પણ કરાય છે. ટીટોડીના ઈંડાની અણીઓ નીચે રહે તો સારો વરસાદ થાય છે.

ટીટોડી વરસાદના અનુમાન માટે મહત્વનું પક્ષી કેમ ગણાય છે?
હવે તમને એવો પ્રશ્ન થશે કે દુનિયામાં ઢગલાબંધ પક્ષી છે, પણ ટીટોડીના જ ઈંડા પરથી કેમ વરસાદનું અનુમાન કરાય છે. આ વિશે અંબાલાલ પટેલે જણાવ્યું કે, પક્ષીઓ બહુ જ સંવેદનશીલ હોય છે, તેમને કુદરતી આફતો વિશે પહેલા ખબર પડી જતી હોય છે. પક્ષીઓની ચેષ્ટા, અવાજ, માળા બાંધવાની ક્રિયા પણ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. જેના પર અભ્યાસ થાય છે. માત્ર ટીટોડી જ નહિ, અન્ય પક્ષીઓની હલચલ પણ વરસાદની આગાહી કરે છે. જેમ કે, ચકલીઓ ઘરમાં માળો બનાવે તો સારો વરસાદ જાય. આ ઉપરાંત ચકલી ધૂળમા ન્હાય તો પણ સારો વરસાદ થાય. આ ઉપરાંત મોરનુ ચોમાસામાં બોલવુ પણ સારા વરસાદના સંકેત છે.

ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment