એક સાથે ત્રણ-ત્રણ સિસ્ટમો સક્રિય થવાના કારણે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં આજથી ચાર દિવસ વરસાદની આગાહી આપવામાં આવી છે. આગામી 22મી જૂનથી રાજ્યમાં વરસાદનું જોર વધશે. સવારથી અસહ્ય ઉકળાટનો અહેસાસ થઇ રહ્યો છે. આદ્રા નક્ષત્રમાં સર્વત્ર વાવણી લાયક વરસાદ વરસી જાય તેવા ઉજળા સંજોગો વર્તાય રહ્યા છે.
હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર, નૈઋત્યનું ચોમાસુ ગુજરાતમાં વધુ વિસ્તારોમાં સક્રિય થઇ ગયું છે. ચોમાસાની નોર્ધન લીમીટ પોરબંદર-વડોદરા સુધી લંબાઇ છે. આ ઉપરાંત દક્ષિણ-પશ્ર્ચિમ રાજસ્થાન સર્જાયેલું સાયક્લોનિક સરક્યુલેશન વેસ્ટ રાજસ્થાન અને ઉત્તર- પશ્ચિમ અરબી સમુદ્રમાં દરિયાઇ લેવલથી 4-5 કિમી ઊંચાઇ પર છે. જેના કારણે આગામી ચાર દિવસ સુધી સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
ભડલી વાક્ય મુજબ, જો આદ્રા નક્ષત્રમાં વરસાદનું આગમન થાય તો બારે માસ પાણીની કોઇ સમસ્યા રહેતી નથી. આગામી બુધવારથી આદ્રા નક્ષત્ર બેસી રહ્યું છે અને બુધવારથી વરસાદનું જોર વધે તેવી આગાહી આપવામાં આવી છે. આ વર્ષે ચોમાસામાં સંતોષકારક વરસાદ પડે તેવી સંભાવના રહેલી છે. જેમાં સર્વત્ર વાવણી લાયક વરસાદ વરસી જશે.
હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર, આજે ઉત્તર ગુજરાતના ખેડા, અમદાવાદ, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં સૌરાષ્ટ્રના પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને દીવમાં જ્યારે કચ્છ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આવતીકાલે મંગળવારે દમણ-દાદરાનગર હવેલી, ખેડા, અમદાવાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ અને કચ્છ જિલ્લામાં બુધવારે દમણ એન્ડ દાદરાનગર, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવ ઉપરાંત કચ્છ પંથકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
જ્યારે ગુરૂવારે દમણ-દાદરાનગર હવેલી, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં હળવાથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
નોંધ: વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે ભારતીય હવામાન વિભાગને અનુસરવું.